1તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજનાં ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.
2ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, 'જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.'
3પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
4કે તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
5અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે [રવિવારે] ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે?
6પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
7વળી 'યજ્ઞ કરતાં હું દયા ચાહું છું,' એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
8કેમ કે માણસના દીકરા [ઈસુ] વિશ્રામવારના પણ પ્રભુ છે.'
9ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
10ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ તેમને પૂછ્યું કે, 'શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?'
11ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢશે?
12તો માણસ ઘેટાં કરતાં કેટલું ઉત્તમ છે? એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.'
13ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથના જેવો સાજો થયો.
14ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
15પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા; ઘણા લોક તેમની પાછળ ગયા; ત્યારે બધાને સાજા કરીને
16તેઓને કડક આજ્ઞા આપી કે, 'તમારે મને પ્રગટ કરવો નહિ.'
17એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
18'જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેના પર મારો જીવ પ્રસન્ન છે; તે પર હું મારો આત્મા મૂકીશ; અને તે અન્ય દેશનાઓને ન્યાયકરણ પ્રગટ કરશે.
19તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઇ નહિ સાંભળશે.
20જ્યાં સુધી ન્યાયકરણને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતુ શણ પણ તે નહિ હોલવશે.
21વિદેશીઓ તેમના નામ પર આશા રાખશે.'
22ત્યારે અશુદ્ધ આત્મા વળગેલા કોઈ અંધ, મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.
23સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'શું આ દાઉદનો દીકરો હોઈ શકે?'
24પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, 'ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી જ તે ભૂતોને કાઢે છે.'
25ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'દરેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે, તે સ્થિર નહિ રહેશે.
26જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?
27જો હું બાલઝબૂલની મદદથી ભૂતોને કાઢું છું, તો તમારા દીકરા કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
28પણ જો હું ઈશ્વરના આત્માથી ભૂતોને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે[એમ સમજો].
29વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઇથી કેમ લૂંટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
30જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
31એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે.
32માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.
33ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.
34ઓ સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
35સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ ખરાબ ભંડારમાંથી ખરાબ બહાર કાઢે છે.
36વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
37કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.'
38ત્યારે કેટલાએક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે.'
39પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, 'દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય કોઇ નિશાની તેને નહિ અપાશે.
40કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો [ઈસુ] પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પાતાળમાં રહેશે.
41ન્યાયકાળે નિનવેનાં માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભાં રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમકે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
42દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.
43જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.
44ત્યારે તે કહે છે કે, જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ; જયારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે.
45પછી તે જઈને પોતા કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.'
46ઈસુ લોકોને હજુ વાત કહેતા હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભાં હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતાં હતાં.
47ત્યારે કોઈએ તેમને કહ્યું કે, 'જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભાં છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.'
48પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, 'મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?'
49તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, જુઓ મારી મા, તથા મારા ભાઈઓ.
50કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.'