Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 13 >> 

1તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.

2અતિ ઘણા લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.

3ઈસુએ દૃષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતા કહ્યું કે, 'જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

4તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.

5કેટલાંક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.

6પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયાં.

7કેટલાંક કાંટાના જાળાંમાં પડ્યાં; કાંટાના જાળાંએ વધીને તેને દબાવી નાખ્યાં.

8બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાંકે સોગણાં, કેટલાંકે સાઠગણાં, અને કેટલાંક ત્રીસગણાં

9જેને સાંભળવાને કાન છે તે સાંભળે.'

10પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, 'તમે તેઓની સાથે દૃષ્ટાંતોમાં શા માટે બોલો છો?'

11ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.

12કેમ કે જેની પાસે છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.

13એ માટે હું તેઓને દૃષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતા નથી, સાંભળતાં તેઓ સાંભળતા નથી, અને સમજતા પણ નથી;

14યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.

15કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, ફરે અને હું તેઓને સાજા કરું.

16પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે.

17કારણ કે હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો તે તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.'

18હવે વાવનારનું દૃષ્ટાંત સાંભળો.

19'જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે,પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બી વાવેલું તે એ જ છે.

20તથા પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે.

21તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.

22કાંટાનાં જાળામાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે.

23સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.'

24ઈસુએ તેઓની આગળ બીજું દૃષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, 'સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.'

25પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.

26પણ જયારે છોડવા ઊગ્યા, તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.

27ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?

28તેણે તેઓને કહ્યું કે, કોઈ દુશ્મને એ કર્યું છે; ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ.

29પણ તેણે કહ્યું, ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.

30કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.'

31ઈસુએ તેઓની આગળ બીજું દૃષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, 'સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું.

32તે સઘળાં બી કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.'

33તેમણે તેઓને બીજું દૃષ્ટાંત કહ્યું કે, સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.'

34એ બધી વાતો ઈસુએ લોકોને દૃષ્ટાંતોમાં કહી; દૃષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ;

35એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, હું મારું મુખ ઉઘાડીને દૃષ્ટાંતો કહીશ, જગતનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.'

36ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'ખેતરનાં કડવા દાણાના દૃષ્ટાંતનો અર્થ અમને કહો.'

37ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે;

38ખેતર જગત છે; સારાં બી રાજ્યના સંતાન છે; પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે;

39જે દુશ્મનોએ વાવ્યાં તે શેતાન છે; કાપણી જગતનો અંત છે; અને કાપનારા દૂતો છે.

40એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે થશે..

41માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા દુષ્ટ કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે.

42અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

43ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

44વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું, તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.

45વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઇએક વેપારીના જેવું છે;

46જેને અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.

47વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, અને દરેક જાતના સમુદ્રજીવો તેમાં સમેટાયા.

48જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.

49એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે;

50અને તે તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

51શું તમે એ બધી વાતો સમજ્યા?' તેઓ ઈસુને કહ્યું કે, 'હા.'

52ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.'

53ત્યારે એમ થયું કે ઈસુ એ દૃષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા.

54પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, 'આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી?

55શું એ સુથારના દીકરા નથી? એમની માનું નામ મરિયમ નથી શું? શું યાકૂબ તથા યૂસફ તથા સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી?

56શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?'

57તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રબોધક પોતાના પ્રદેશમાં તથા પોતાના ઘર સિવાય [બીજે ઠેકાણે] માન વગરનો નથી.'

58અને તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 13 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran