1જેટલા દાસત્વના બંધનમાં છે તેઓને પોતાના માલિકોને પુરા માનયોગ્ય ગણવા, કે જેથી ઈશ્વરના નામની અને તેમના ઉપદેશની નિંદા થાય નહિ.
2જેઓના માલિકો વિશ્વાસી છે એ માલિકો ભાઈઓ છે તેથી તેઓને તમારે હલકા ગણવા નહિ, પણ તેમની સેવા વિશેષ ખંતથી કરવી, કેમકે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય ભાઈઓ છે. એ વાતો શીખવ અને સમજાવ.
3જો કોઈ જુદો ઉપદેશ કરે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે શુદ્ધ વાત તથા ભક્તિભાવ પ્રમાણે જે ઉપદેશ છે, તેને માનતો નથી,
4તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તેને વાદવિવાદમાં રસ છે જેમાંથી અદેખાઈ, ઝઘડા, દુર્ભાષણો તથા વહેમ ઉભા થાય છે,
5તથા ભ્રષ્ટબુદ્ધિના, સત્યથી અજાણ છે, અને ભક્તિભાવ કમાઈનું એક સાધન છે એવું માનનારાઓ દ્વારા [નિત્ય] કજિયા થાય છે;
6પણ સંતોષસહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે;
7કેમકે આપણે આ જગતમાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઇ જઈ શકવાના નથી.
8પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.
9જે દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને નાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.
10`કેમ કે દ્રવ્યલોભ એ સર્વ પ્રકારના પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીધ્યાં છે.
11પણ ઈશ્વરભક્ત, તું આ સર્વથી દૂર ભાગજે; અને ન્યાયીપણું, સુભક્તિ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા તેઓનું અનુસરણ કરજે.
12વિશ્વાસની સારી લડાઈ લડ, અનંત જીવન ધારણ કર, કે જેને સારૂ તું તેડાયેલો છે, અને જેના વિષે તેં ઘણા સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે.
13જે ઈશ્વર સઘળાને સજીવન કરે છે તેની આગળ તથ ઇસુ ખ્રિસ્ત જેમણે પોંતિયુસ પિલાતની આગળ સારી કબુલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે,
14આપણા પ્રભુ ઈસુ પ્રગટ થાય ત્યાં સુધી તું આ આજ્ઞા નિષ્કલંક તથા દોષરહિત રહીને પાળ.
15જે પ્રશંશાપાત્ર તથા એકલા સ્વામી છે તે રાજાઓનો રાજા છે. તે યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે .
16તેમને એકલાને અમરપણું છે, પાસે ના જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ માણસે જોયા નથી અને જોઈ શકતો પણ નથી: તેમને સદાકાળ મહિમા તથા સામર્થ્ય હો. આમીન.
17આ જમાનાના દ્રવ્યવાનોને તું આગ્રહથી કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યના અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણને ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે;
18કે તેઓ ભલું કરે, ઉત્તમ કામોમાં સમૃદ્ધિ મેળવે તેમજ ઉદાર અને પરોપકારી થાય;
19ભવિષ્યને સારું પોતાને માટે પુંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.
20ઓ તિમોથી જે સત્ય તને સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી બકવાસથી તથા જે ભૂલથી જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે,
21એને કેટલાક સત્ય માનીને વિશ્વાસમાંથી ભટકી ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.