1વૃદ્ધને ધમકાવ નહિ પણ જેમ પોતાના પિતાને તેમ તેમને સમજાવ એજ પ્રમાણે જેમ પોતાના ભાઈઓને તેમ જુવાનોને;
2જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ પૂરી પવિત્રાઈથી જુવાન સ્ત્રીઓને સમજાવ.
3નિઃસહાય વિધવાઓની સહાય કર.
4પણ કોઈ વિધવા સ્ત્રીને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ બને તથા પોતાનાં માબાપના આભારનો બદલો વાળી આપવાને શીખે, કેમકે ઈશ્વરને તે પસંદ છે.
5જે વિધવા સાચે જ નિરાધાર છે, ઈશ્વર પર આશા રાખે છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.
6પણ જે વિધવા વિલાસી છે તે જીવતી જ મૂએલી છે.
7આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ નિર્દોષ બને.
8પણ જે માણસ પોતાની કે વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ઇન્કાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ ખરાબ છે.
9સાઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી,
10સારાં કામ વિષે વખાણાયેલી, પોતાના બાળકોનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, પવિત્ર સંતોના પગ ધોયા હોય, દુઃખીઓને સહાયતા કરી હોય, તે હરેક સારા કામમાં ખંતીલી હોય તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે
11પણ જુવાન વિધવાઓના નામ યાદીમાં સમાવવા નહિ, કેમ કે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ વિષયવાસનાઓથી ઉન્મત્ત થઈને પરણવા ચાહે છે.
12તેઓ દંડને પાત્ર છે, કેમકે પ્રથમ કરેલી પ્રતિજ્ઞાઓનો તેઓએ ભંગ કર્યો છે.
13તે ઉપરાંત ઘેરેઘેર ફરી ફરીને તેઓ આળસુ થવાનું શીખે છે, અને આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કુથલી તથા પારકી પંચાત કરે છે.
14માટે હું ઇચ્છું છું કે જુવાન [વિધવાઓ] લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત બને નહિ.
15કેમકે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનના ફસાવ્યાથી ભટકી ગઈ છે.
16અને જો કોઈ વિશ્વાસી બહેન વિધવાઓ માટે આધારરૂપ હોય, તો તે તેઓનું પુરું કરે, અને વિશ્વાસી સંગતી પર તેમનો ભાર નાખે નહિ. એ સારૂ કે જે નિરાધાર છે તેઓનો વિશ્વાસી સમુદાય નિભાવ કરે.
17જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શીખવવામાં શ્રમ કરે છે, તેઓને વિશેષ સન્માનિત ગણવા.
18કેમકે શાસ્ત્ર કહે છે કે, ચરનાર બળદના મોં પર શીકી ન બાંધ અને કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે".
19બે કે ત્રણ સાક્ષીઓ વગર વડીલ પરનો આરોપ સાંભળ નહિ.
20પાપ કરનારાઓને સઘળાંની આગળ ઠપકો, એ સારૂ કે બીજાઓને પણ બીક રહે.
21ઈશ્વર તથા ખ્રિસ્ત ઈસુમાં પસંદ કરેલા દૂતો આગળ હું તને આજ્ઞા કરું છું કે, પક્ષપાત પ્રમાણે કંઈ ન કરતાં લાગવગ કર્યા વિના આ વાતોનો અમલ કર.
22કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. બીજાઓનાં પાપમાં ભાગીદાર થઇશ નહિ; પણ પોતાને શુદ્ધ રાખ.
23હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટની તકલીફને લીધે તથા તારી વારંવારની માંદગીને લીધે, થોડો દ્રાક્ષારસ પણ પીજે.
24કેટલાક માણસનાં પાપ બહુ પ્રગટ થયેલ હોવાથી તેમનો ન્યાય અગાઉથી થાય છે. અને કેટલાકના પાપ પછીથી જાહેર થાય છે.
25તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ પણ જગ જાહેર હોય છે, જે કામ જાહેર નથી તે કાયમી રીતે ગુપ્ત રહી શકતાં નથી.