Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 16 >> 

1ફરોશીઓએ તથા સાદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં માંગણી કરી કે, 'અમને આકાશથી કોઈ ચમત્કાર કરી બતાવો.'

2પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમકે આકાશ લાલ છે.

3સવારે [તમે કહો છો] કે, આજે વરસાદ પડશે, કેમકે આકાશ લાલ તથા અંધરાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા.

4દુષ્ટ તથા વ્યભિચારી પેઢી ચિહ્ના માગે છે, પણ યૂનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને નહિ અપાશે.' ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.

5શિષ્યો સરોવરને પેલે પાર ગયા,પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા.

6ઈસુએ તેઓને કહ્યું કે, 'ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.'

7ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, 'આપણે રોટલી નથી લાવ્યા [માટે ઈસુ એમ કહે છે].'

8ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?'

9શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી?

10વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?

11તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો [એમ મેં કહ્યું હતું].

12ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.

13ઈસુએ કૈસરિયા ફિલિપીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, 'માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?'

14ત્યારે તેઓએ કહ્યું કે, 'કેટલાક [કહે છે], યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.'

15ઈસુ તેઓને કહે છે, 'પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?'

16ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.

17ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમકે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાના મારા પિતાએ તને એ જણાવ્યું છે.

18હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારો વિશ્વાસી સમુદાય સ્થાપીશ, તેની વિરુદ્ધ મૃત્યુલોકની સત્તાનું જોર ચાલશે નહીં.

19આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.'

20ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે, 'હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ.'

21ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા કે, 'હું યરૂશાલેમમાં જાઉં, વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરું, માર્યો જાઉં અને ત્રણ દિવસ પછી પાછો ઊઠું એ જરૂરનું છે.'

22પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ નહિ થશે.'

23પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, 'અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમકે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.'

24પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'જો કોઇ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મને અનુસરવું.'

25કેમકે જે કોઇ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઇ મારે લીધે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે.

26કેમકે જો માણસ આખું જગત મેળવે અને પોતાનો જીવ ગુમાવે, તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?

27કેમકે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતોસહિત આવશે, ત્યારે તે દરેકને તેમનાં કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.

28હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 16 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran