Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 15 >> 

1તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,

2તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમકે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.

3પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?'

4કેમકે ઈશ્વરે કહ્યું છે કે, 'તમે તમારા માતાપિતાનું સન્માન કરો અને જે કોઇ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.'

5પણ તમે કહો છો કે, જે કોઇ પોતાના માતાપિતાને કહેશે કે, 'જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે;

6તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.

7ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,

8'આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે.

9તેઓની ભક્તિ નિરર્થક છે, કેમકે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.'

10પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, 'સાંભળો અને સમજો.

11મુખમાં જે જાય છે તે માણસને અશુદ્ધ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને અશુદ્ધ કરે છે.'

12ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, 'આ વાત સાંભળીને ફરોશીઓ નાખુશ છે, એ શું તમે જાણો છો?'

13પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.

14તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શક છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.

15ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, આ દૃષ્ટાંતનો અર્થ અમને કહો.

16ઈસુએ કહ્યું કે, 'શું હજી સુધી તમે પણ અણસમજુ છો?'

17શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ છે, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?

18પણ મુખમાંથી જે કંઈ મલિન બાબત નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, અને તે જ માણસને વટાળે છે.

19કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, બદ્કૃત્યો, ચોરીઓ, જુઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.

20માણસને જે વટાળે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને વટાળતું નથી.'

21ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા.

22જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, 'ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી અશુદ્ધ આત્માથી બહુ પીડા પામે છે.'

23પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ; અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, 'તે સ્ત્રીને વિદાય કરો, કેમકે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.'

24તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, 'ઇઝરાયેલના ઘરનાં ખોવાએલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.'

25પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કરો.

26તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે યોગ્ય નથી.

27તે સ્ત્રીએ કહ્યું કે, 'ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.'

28ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, 'ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ.' તે જ સમયે તેની દીકરીને સાજાપણું મળ્યું.

29પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા.

30ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઇને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા,અને તેમણે તેઓને સાજાપણું આપ્યું.

31જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, જેઓ ટૂંડાઓ સાજા થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતાં થયાં છે, ત્યારે તેઓ એ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરની સ્તુતિ કરી.

32ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, 'આ લોકો પર મને દયા આવે છે, કેમકે તેઓ ત્રણ દિવસથી મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી, તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.'

33શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ?

34ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલી છે?' તેઓએ કહ્યું કે, 'સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.'

35તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.

36તેમણે તે સાત રોટલી તથા માછલી લઇ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી.

37સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી.

38જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.

39લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 15 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran