Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  John 16 >> 

1'કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.

2તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; હા, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

3તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.

4પણ જયારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.

5પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.

6પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.

7તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો પવિત્ર આત્મા તમારી પાસે આવશે નહી; પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી આપીશ.

8જયારે તે આવશે ત્યારે તે પાપ વિષે, ન્યાયીપણા વિષે, ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;

9પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;

10ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી મને જોશો નહિ;

11ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ પૃથ્વીના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે.

12હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.

13તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.

14તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.

15જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.

16થોડી વાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડી વાર પછી તમે મને જોશો.'

17એથી તેમના શિષ્યોમાંના કેટલાકે અંદરોઅંદર કહ્યું, 'ઈસુ આપણને કહે છે કે, થોડી વાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?'

18તેઓએ કહ્યું કે, 'થોડી વાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.'

19તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?

20હું તમને ખરેખર કહું છું કે, 'તમે રડશો અને શોક કરશો, પણ આ સંસાર આનંદ કરશે; તમે શોકિત થશો, પણ તમારો શોક આનંદમાં પલટાઈ જશે.'

21જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, જગતમાં બાળક જન્મ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.

22હમણાં તો તમને શોક થાય છે ખરો; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.

23તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખરેખર કહું છું કે, જો તમે પિતા પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે આપશે.

24હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.

25એ વાતો મેં તમને દૃષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દૃષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.

26તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ;

27કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું.

28હું પિતા પાસેથી આવ્યો છું અને હું જગતમાં આવ્યો છું; ફરીને હું આ પૃથ્વી ત્યજીને પિતાની પાસે જાઉં છું.'

29તેમના શિષ્યો કહે છે કે, 'હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દૃષ્ટાંતોમાં બોલતા નથી.

30હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઇ માણસ તમને કંઇ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.'

31ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'શું હવે તમે વિશ્વાસ કરો છો?

32જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે હરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમકે પિતા મારી સાથે છે.

33મેં તમને એ વાતો કહી છે કે, 'મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. જગતમાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.'


  Share Facebook  |  Share Twitter

 <<  John 16 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran