1પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે:
2વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સમજુ અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ;
3એજ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કૂથલી નહિ કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ પીનારી નહિ, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ,
4એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને,
5મર્યાદાશીલ, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું સમજાવે, જેથી પ્રભુની વાતની નિંદા ન થાય.
6તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ.
7સારાં કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા; તારા ઉપદેશમાં પવિત્રતા, ગંભીરતા,
8અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે કંઇ ખરાબ બોલવાનું કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઇ જાય.
9દાસો તેઓના માલિકોને આધીન રહે, સર્વ રીતે તેઓને પ્રસન્ન રાખે, સામે બોલે નહિ,
10ઉચાપત કરે નહિ પણ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર થાય એવો બોધ કર; કે જેથી તેઓ બધી રીતે આપણા ઉધ્ધારનાર ઈશ્વરના સુબોધને શોભાવે,
11કેમકે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉધ્ધાર કરે છે તે પ્રગટ થઇ છે;
12તે કૃપા આપણને શિખવે છે કે, અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં સમજદારીથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવથી વર્તવું;
13અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમજ આપણા ઉધ્ધારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની પ્રતીક્ષા કરવી;
14તેમણે [ઈસુએ] આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.
15આ વાતો તું કહે, બોધ કર અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.