Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Romans 11 >> 

1તેથી હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું.

2પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી; વળી એલિયા સબંધી ધર્મશાત્ર શું કહે છે, એ તમે નથી જાણતા? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે,

3'ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે, હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે.'

4પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “જેઓ બઆલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા સાત હજાર પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે,”

5એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે.

6પણ જો તે કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી, નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ.

7એટલે શું? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નહિ; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીનાં [હૃદયો] ને કઠણ કરવામાં આવ્યાં છે;

8જેમ લખેલું છે તેમ કે, 'ઈશ્વરે તેઓને આજદિન સુધી મંદબુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે.

9દાઉદ પણ કહે છે કે, 'તેઓની મેજ તેઓને માટે જાળ, ફાંસો, ઠોકર તથા બદલો થાઓ.

10તેઓની આંખો અંધકારમય થાઓ કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.'

11ત્યારે હું પૂછું છું કે, 'શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય?' ના, એવું ન થાઓ, પણ ઊલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉધ્ધાર મળ્યો છે, કે જેનાથી ઇઝરાયલમાં ઈર્ષા ઉત્પન્ન થાય.

12હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક [સંપત્તિરૂપ] થશે!

13હવે હું તમો બિનયહૂદીઓને કહું છું. હું મારું સેવાકાર્ય ખૂબ જ મહત્ત્વનું માનું છું કારણ કે હું બિનયહૂદીઓનો પ્રેરિત છું.

14જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો [ઇઝરાયલીઓ] માં ઇર્ષા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું.

15કેમ કે જો તેઓનો નકાર થવાથી જગતનું [ઈશ્વર સાથે] સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે?

16જો પ્રથમફળ પવિત્ર છે, તો [આખો] સમૂહ પણ પવિત્ર છે; અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે.

17પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી; અને તું જંગલી જૈતૂનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનના રસ ભરેલા મૂળનો સહભાગી થયો,

18તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પરંતું જો તું ગર્વ કરે, તો મૂળને તારો આધાર નથી પણ તને મૂળનો આધાર છે.

19વળી તું કહેશે કે, 'હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી.'

20બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ટ ન થા, પણ ભય રાખ.

21કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તેઓ તને પણ નહિ બચાવે.

22તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો; જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખતાઈ; પણ જો તું તેમની કૃપા ટકી રહે તો તારા ઉપર ઈશ્વરની કૃપા; નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.

23પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે.

24કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનના ઝાડમાં કુદરતથી વિરુધ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનના ઝાડમાં ક્લમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે?

25કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઇચ્છા નથી કે આ ભેદ વિષે તમે અજાણ રહો કે બિનયહૂદીઓની સંપૂર્ણતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે.

26અને પછી તમામ ઇઝરાયલ ઉધ્ધાર પામશે, જેમ લખેલું છે: 'સિયોનમાંથી ઉધ્ધાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે;

27હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે.

28સુવાર્તાના સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભેમાં તો પૂર્વજોને લીધે તેઓ તેમને વહાલા છે.

29કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.

30કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણા તેઓના અનાજ્ઞાંકિતપણાના કારણથી તમે દયાપાત્ર બન્યા છો;

31એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે, એ માટે કે, તમારા પર દર્શાવેલી દયાના કારણે, તેઓને પણ હમણાં દયાદાન મળે.

32કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યા છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે.

33આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ અને તેમના માર્ગો કેવા અગમ્ય છે!

34કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેનો મંત્રી કોણ થયો છે?

35અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે?

36કેમ કે તેમનામાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ સુધી મહિમા હો. આમીન.


  Share Facebook  |  Share Twitter

 <<  Romans 11 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran