Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Mark 9 >> 

1ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને ખાતરીથી કહું છું કે, 'અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.'

2છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું.

3ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે પૃથ્વીમાં કોઇ પણ ધોબી તેવાં સફેદ કરી ન શકે.

4એલિયા મૂસાની સાથે તેઓને દેખાયો અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.

5પિતર ઈસુને કહે છે કે, 'ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.'

6શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.

7એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.'

8તરત તેઓએ ચારે બાજુ જોયું ત્યાર પછી તેઓએ સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.

9તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, 'તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.'

10તેઓએ તે સૂચના મનમાં રાખીને 'મૃત્યુમાંથી પાછા ઊઠવું' એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.

11તેઓએ ઈસુને પૂછ્યું, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલાં એલિયાએ આવવું જોઈએ?'

12ઈસુએ તેઓને કહ્યું કે, 'એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું અને અપમાનિત થવું પડશે?'

13પણ હું તમને કહું છું કે, 'એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે [આચરણ] કર્યું,'

14તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણા લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા.

15તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.

16ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?'

17લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, 'ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો આત્મા વળગેલો છે;

18જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જવું. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; તેણે તેઓ કાઢી શક્યા નહિ,'

19પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, 'ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમને નિભાવીશ? તેને મારી પાસે લાવો.'

20તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને આત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.

21ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, 'તેને કેટલા વખતથી આવું થયું છે?' તેણે કહ્યું કે, 'બાળપણથી.'

22તેનો નાશ કરવા સારુ તેણે (અશુદ્ધ આત્માએ) ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.'

23ઈસુએ તેને કહ્યું કે, 'જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.'

24તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, 'હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.'

25ઘણા લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, 'મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેમાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.'

26ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાખરાએ કહ્યું કે, 'તે મરી ગયો છે.'

27પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.

28ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, 'અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?'

29ઈસુએ કહ્યું કે, 'પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.'

30ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.

31કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતા કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.'

32તેઓ આ વાત સમજ્યા ન હતા, અને ઈસુને પૂછતાં ગભરાતા હતા.

33તેઓ કપર-નાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?'

34પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, 'તેઓમાં મુખ્ય કોણ છે?'

35ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, 'જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય.'

36તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે,

37'જે કોઈ મારે નામે આવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.'

38યોહાને ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, અમે એક જણને તમારે નામે ભૂતોને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.'

39પણ ઈસુએ કહ્યું કે, 'તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.

40કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.'

41કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, 'તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું ફળ નહિ ગુમાવે.

42જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ગેરમાર્ગે દોરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય.

43જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે

44તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

45જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે

46તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

47જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નરકાગ્નિમાં નંખાવું,

48કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.

49કેમ કે અગ્નિથી હરેક સલૂણું કરાશે; [ અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે. ]

50મીઠું તો સારું છે; પણ જો મીઠું ખારાશ ગુમાવે, તો તેને શાનાથી ખારું કરશો? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.


  Share Facebook  |  Share Twitter

 <<  Mark 9 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran