1ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
2તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર ચાંપતી નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
3પેલા સુકાયેલા હાથવાળા માણસને તેઓએ કહ્યું કે, 'વચમાં ઊભો થા.'
4અને તેઓએ પછી કહ્યું કે, 'વિશ્રામવારે સારુ કરવું કે ખોટું કરવું? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?' પણ તેઓ મૌન રહ્યા.
5તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, 'તારો હાથ લાંબો કર.' તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
6શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
7અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણા લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી
8તથા યરૂશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેમણે જે જે [કાર્યો] કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
9લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;
10કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
11અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, 'તમે ઈશ્વરના દીકરા છો.'
12તેમણે તેઓને હુકમ કર્યો કે, 'મને જાહેર ન કરો.'
13ઈસુ પહાડ પર ચઢ્યા અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
14ઈસુએ બાર શિષ્યોને નીમ્યા.એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને બોધ કરવા મોકલે,
15અને તેઓ અધિકાર પામીને અશુદ્ધ આત્માઓને કાઢે.
16સિમોનની અટક તેમણે પિતર પાડી;
17તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓની અટક તેમણે 'બને-રગેસ' પાડી, એટલે કે 'ગર્જનાના દીકરા;'
18અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થાદ્દી, સિમોન કનાની
19તથા તેમને પકડાવી દેનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા. પછી તે એક ઘરમાં આવે છે.
20ફરી એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
21તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે 'તે પાગલ છે.'
22જે શાસ્ત્રીઓ યરૂશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, 'તેનામાં બાલઝબૂલ છે અને અશુદ્ધ આત્માઓના સરદાર[ની મદદ]થી તે અશુદ્ધ આત્માને કાઢે છે.'
23તેમણે તેઓને પાસે બોલાવીને દૃષ્ટાંતોમાં કહ્યું કે, 'શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે?
24જો કોઈ રાજ્યમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.
25જો કોઈ ઘરમાં અંદરોઅંદર ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
26જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે રહી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવો.
27બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ [તેને બાંધ્યા] પછી તે તેને લૂંટી શકશે.
28હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને સર્વ અપરાધોની તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.
29પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.'
30કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
31ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભાં રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.
32ઘણા લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, 'જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.'
33તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?'
34જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે , 'જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
35કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.'