Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Mark 11 >> 

1તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે.

2અને તેઓને કહે છે કે, 'સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.

3જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે તરત એને અહીં પાછું લાવવા મોકલશે.'

4તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા.

5જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, 'વછેરાને તમે શું કરવા છોડો છો?'

6જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધા.

7તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં વસ્ત્રો બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા.

8ઘણાઓએ પોતાના વસ્ત્રો રસ્તામાં પાથર્યાં અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી].

9આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું કે, 'હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે.

10આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!'

11ઈસુ યરુશાલેમ જઈને ભક્તિસ્થાનમાં ગયા અને ચારેબાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનિયામાં ગયા.

12બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી, ઈસુને ભૂખ લાગી.

13એક અંજીરી જેને પાંદડાં હતાં તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે; અને તેઓ તેની પાસે આવ્યા, ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ઋતુ ન હતી.

14ઈસુએ તેને કહ્યું કે, 'હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય' અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું.

15તેઓ યરૂશાલેમમાં આવ્યા. ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા; તેમણે નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં.

16અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલસામાન લાવવા દીધો નહિ.

17તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, 'શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનો અડ્ડો બનાવ્યો છે.'

18મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઇ પામ્યા હતા.

19દર સાંજે તેઓ શહેર બહાર જતા.

20તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને મૂળમાંથી સુકાયેલી જોઈ.

21પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, 'ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.'

22ઈસુએ તેઓને કહ્યું કે, 'ઈશ્વર પર વિશ્વાસ રાખો.'

23કેમ કે હું તમને ખાતરીથી કહું છું કે, 'જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં શંકા ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે.

24એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.

25જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.

26પણ જો તમે માફ નહિ કરો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.

27પછી ફરી તેઓ યરૂશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા.

28તેઓએ ઈસુને પૂછ્યું કે, 'કયા અધિકારથી તમે આ કામો કરો છો,' અથવા 'કોણે તમને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?'

29ઈસુએ તેઓને કહ્યું કે, 'હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ.

30યોહાનનું બાપ્તિસ્મા શું આકાશથી હતું કે માણસોથી? મને જવાબ આપો.'

31તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે, જો કહીએ કે, આકાશથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો?

32અને જો કહીએ કે, ત્યારે તેઓ લોકોથી ગભરાયા. કેમ કે બધા યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા.

33તેઓ ઉત્તર આપ્યો કે, 'અમે જાણતા નથી.' ઈસુ તેઓને કહે છે કે, 'કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.'


  Share Facebook  |  Share Twitter

 <<  Mark 11 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran