1પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે પવિત્ર આત્મા તેમને અરણ્યમાં લઇ ગયા,
2ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.
3પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.'
4પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, એમ લખેલું છે કે, 'માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.'
5ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ જાય છે અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને બેસાડે છે;
6અને તેમને કહે છે કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, 'ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય.'
7ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.'
8ફરીથી શેતાન તેમને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે અને જગતનાં સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવે છે;
9અને તેમને કહે છે કે, 'જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.'
10ત્યારે ઈસુ તેને કહે છે કે, 'અરે શેતાન, દૂર જા; કેમ કે લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.'
11ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને, દૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
12યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.
13પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપર-નાહૂમમાં તે આવીને રહયા;
14એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
15'ઝબુલોનના પ્રાંતના, નફતાલીના પ્રાંતના, યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે બિનયહૂદીઓના ગાલીલમાંના
16જે લોકો અંધકારમાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને મરણસ્થાનમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.'
17ત્યાર પછી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે, 'પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'
18ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઇઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઇ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
19ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.'
20તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
21ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ બોલાવ્યા.
22ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
23ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતા તથા રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.
24ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, સઘળાં માંદાંઓને, એટલે અનેક જાતના રોગીઓને, પીડાતાંઓને, અશુદ્ધ આત્મા વળગેલાંઓને, વાઈના રોગીઓને તથા લકવાગ્રસ્તોને તેઓ તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.
25ગાલીલથી, ડેકાપોલીસ [દસનગર]થી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં.