Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 27 >> 

1હવે સવાર થઇ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.

2પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઇ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યા.

3જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્યયાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને;

4કહ્યું કે, 'નિરપરાધી રક્ત પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.' ત્યારે તેઓએ કહ્યું કે, 'તેમાં અમારે શું? તે તું જાણે.'

5પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.

6મુખ્યયાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.

7તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.

8તે માટે આજ સુધી તે ખેતર 'લોહીનું ખેતર' કહેવાય છે.

9ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 'જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઈઝરાયેલપુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા;

10જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.'

11અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કહ્યું કે, 'શું તું યહુદીઓનો રાજા છે?' ઈસુએ તેને કહ્યું કે, 'તું પોતે કહે છે.'

12મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.

13ત્યારે પિલાતે તેમને કહ્યું કે, 'તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મુકે છે એ શું તું નથી સાંભળતો?'

14ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલ ઘણું આશ્ચર્ય પામ્યો.

15હવે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેવાનો રાજ્યપાલનો રિવાજ હતો.

16તે વખતે બારાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

17તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, 'હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બારાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?'

18કેમકે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇથી ઈસુને સોંપ્યો હતો.

19જયારે ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, 'તે ન્યાયી માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.'

20હવે મુખ્યયાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા, કે તેઓ બારાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.

21પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, 'તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?' તેઓને કહ્યું કે 'બારાબાસને.'

22પિલાતે તેઓને કહ્યું છે કે, 'તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?' સઘળાએ તેને કહ્યું કે, 'ઈસુને વધસ્તંભે જડાવો.'

23ત્યારે તેણે કહ્યું, 'શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?' પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ઈસુને વધસ્તંભે જડાવો.

24જયારે પિલાતે જોયું કે મારું કંઇ ચાલતું નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, 'એ ન્યાયીના લોહી સબંધી હું નિર્દોષ છું; તે તમે પોતે જાણો.'

25ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, 'એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.'

26ત્યારે તેણે બારાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.

27ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઇ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકથી થઈ એકઠી કરી.

28પછી તેઓએ તેમનાં વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.

29કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મુક્યો, તેમના જમણા હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 'હે યહૂદીઓના રાજા, સલામ.'

30પછી તેઓ તેમના પર થૂંક્યા અને સોટી લઈને તેમના માથામાં મારી.

31તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઇ ગયા.

32તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.

33તેઓ ગલગથા એટલે કે, 'ખોપરીની જગા' કહેવાય છે, ત્યાં પહોંચ્યા.

34તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે પીવાની ના પાડી.

35ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો માંહોમાંહે વહેંચી લીધાં;

36અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.

37'ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એજ છે.' એવું તેમના વિરુધ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

38તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યા, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

39પાસે થઈને જનારાઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમની નિંદા કરતાં

40કહ્યું કે, 'અરે ભક્તિસ્થાનને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.'

41તે જ રીતે મુખ્યયાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,

42'તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઈઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઉતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.

43તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમકે તેણે કહ્યું હતું કે, 'હું ઈશ્વરનો દીકરો છું.'

44જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડ્યા હતા, તેઓએ પણ તેમ જ નિંદા કરી.

45હવે છઠ્ઠા કલાકથી નવમાં કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાયો.

46આશરે નવમા કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'

47જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાક તે સાંભળીને કહ્યું કે, 'તે એલિયાને બોલાવે છે.'

48તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.

49પણ બીજાઓએ કહ્યું કે, 'રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને છોડાવવા આવે છે કે નહિ.'

50પછી ઈસુએ બીજી વાર ઉંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.

51ત્યારે જુઓ, ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઇ ગયા, ધરતી કાંપી, ખડકો ફાટ્યા,

52કબરો ઊઘડી ગઇ અને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઉઠ્યાં.

53અને ઈસુના ઉત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાઓને દેખાયા.

54ત્યારે સુબેદાર તથા તેની સાથે જેટલા ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઇને બહુ ગભરાતા કહ્યું કે, 'ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.'

55ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.

56તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.

57સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો,

58તેણે પિલાત પાસે જઇને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોપવાની આજ્ઞા આપી.

59પછી યૂસફે શબ લઇને શણના સફેદ વસ્ત્રમાં તે વીંટાળ્યું.

60અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મુકયો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.

61મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.

62સિધ્ધિકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને

63કહ્યું કે, 'સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, 'ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.'

64માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે ઉત્થાન પામ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.'

65ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, 'આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બને તેવી તેની ચોકી રખાવો.'

66તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.'


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 27 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran