Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 24 >> 

1ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.

2ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'શું તમે એ બધા નથી જોતા? હું તમને નિશ્ચે કહું છું કે, પાડી નહિ નંખાય, એવો એક પણ પત્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ.'

3પછી જૈતૂનના પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, 'એ બધુ ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.

4ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'તમને કોઇ ન ભુલાવે માટે સાવધાન રહો.

5કેમકે મારે નામે ઘણા એમ કહેતા આવશે કે, હું તે ખ્રિસ્ત છું; અને ઘણાને ગેરમાર્ગે દોરશે.

6યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમકે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.

7કેમકે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે દુષ્કાળો, મરકીઓ તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.

8પણ એ બધાં તો દુઃખોનો આરંભ માત્ર છે.

9ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, તમને મારી નાખશે, મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

10અને તે સમયે ઘણા ઠોકર ખાશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.

11ઘણા જૂઠા પ્રબોધકો ઉઠશે, અને ઘણાને ભુલાવામાં નાખશે,

12અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઇ જશે.

13પણ જે અંત સુધી ટકશે તે જ ઉધ્ધાર પામશે.

14સર્વ પ્રજાઓને સાક્ષી રૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

15માટે ઉજ્જડની ધિક્કારપાત્ર નિશાની જે સબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ વાચક તેનો અર્થ સમજે,

16ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય;

17અગાસી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે;

18જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો આવે.

19તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે.

20પણ તમારુ નાશવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.

21કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.

22જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઇ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.

23ત્યારે જો કોઈ તમને કહે કે, જુઓ, ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનશો નહિ;

24કેમકે નકલી ખ્રિસ્ત તથા નકલી પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કાર તથા અદ્દભુત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.

25જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.

26એ માટે જો તેઓ તમને કહે કે, 'જુઓ, તે અરણ્યમાં છે,' તો બહાર જતા નહી; કે જુઓ, તે ઓરડીઓમાં છે,' તો માનતા નહિ.

27કેમકે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.

28જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.

29તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઇ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશનાં પરાક્રમો હલાવાશે.

30પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં વંશો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમાસહિત તેઓ આકાશનાં વાદળ પર આવતા જોશે.

31રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.

32હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઇ હોય છે અને પાંદડા ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છે કે ઉનાળો પાસે આવ્યો છે.

33એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તેઓ [ખ્રિસ્ત] પાસે એટલે બારણા આગળ જ છે.

34હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મૃત્યુ પામશે નહિ.

35આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.

36પણ તે દિવસો તથા તે ઘડી સબંધી પિતા વગર કોઇ પણ જાણતું નથી, આકાશના દૂતો નહિ તેમ જ [ઈશ્વરના] દીકરા [ઈસુ] પણ નહિ.

37જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.

38કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા, લગ્ન કરતાં અને કરાવતાં હતા;

39અને જળપ્રલય આવીને બધાને તાણી લઇ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.

40તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.

41બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.

42માટે જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.

43પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.

44એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો [ઈસુ] આવશે.

45તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?

46જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.

47હું તમને નિશ્ચે કહું છું કે, તે તેને પોતાની બધી સંપતિનો કારભારી ઠરાવશે.

48પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, 'મારા માલિકને આવવાની વાર છે;'

49અને તે બીજા ચાકરોને મારવા તથા છાકાટાઓની સાથે ખાવાપીવા લાગે;

50તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.

51તે તેને કાપી નાખશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે; ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 24 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran