Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 23 >> 

1ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,

2'શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;

3એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.

4કેમકે ભારે અને ઊંચકતાં મહામુસીબત પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળી પણ તેને લગાવવા ઇચ્છતા નથી.'

5લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે.

6વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો

7તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ગુરુજી કહે, તેવું તેઓ ચાહે છે.

8પણ તમે પોતાને ગુરુ ન કહેવડાઓ; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.

9પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમકે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.

10તમે સ્વામી ન કહેવડાઓ, કેમકે એક, જે ખ્રિસ્ત, તે તમારા સ્વામી છે.

11પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય.

12જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઉચ્ચ સ્થાન અપાશે.

13ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમકે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.

14[ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે વિશેષ સજા ભોગવશો].

15ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફરી વળો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

16ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાના સમ ખાય તો તેથી બંધાયેલો છે.

17ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?

18અને તમે કહો છો કે, જો કોઈ વેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.

19ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી વેદી?

20એ માટે જે કોઇ વેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.

21જે કોઇ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.

22જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.

23ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

24ઓ અંધજનોને દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો.

25ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે.

26ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળીવાટકો અંદરથી સાફ કર કે, તે બહારથી પણ સાફ થઇ જાય.

27ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકા તથા દરેક અશુધ્ધિથી ભરેલી છે.

28તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.

29ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમકે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો;

30અને કહો છો કે, જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.

31તેથી તમે પોતાના સબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.

32તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.

33ઓ સર્પો, સાપોના વંશ, નરકના શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

34તેથી, જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું. તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ પડશો;

35કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને ભક્તિસ્થાનની તથા વેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.

36હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.

37ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!

38જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજજડ મુકાયું છે.

39કેમકે હું તમને કહું છું કે, 'જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.'


  Share Facebook  |  Share Twitter

 <<  Matthew 23 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran