1ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના વિસ્તારોમાં આવ્યા.
2અતિ ઘણા લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજા કર્યા.
3ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, 'શું કોઈપણ કારણને લીધે પુરુષ પત્નિને તજી દે એ ઉચિત છે?'
4ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, 'શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?'
5અને કહ્યું કે 'તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક શરીર થશે.
6માટે તેઓ હવેથી બે નથી, પણ એક શરીર છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જૂદા ન પાડવાં.
7તેઓએ ઈસુને કહ્યું કે, 'તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, છૂટાછેડા આપીને તેને મૂકી દેવી?'
8ઈસુએ તેઓને કહ્યું કે, મૂસાએ તમારાં હૃદયની જડતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.
9હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઇ પોતાની પત્નીને તજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ મૂકી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.'
10તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, 'જો પત્ની અને પતિના સંબંધના એવા હાલ છે, તો લગ્ન કરવું સારું નથી.'
11ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ.
12કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલા છે; કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે પાળી શકે છે તે પાળે.'
13ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
14પણ ઈસુએ કહ્યું કે, 'બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાંઓનું જ છે.'
15પછી તેઓને આશીર્વાદ દઈને તે ત્યાંથી ગયા.
16ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, 'ઉપદેશક, અનંતકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું?'
17ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, 'તુ મને સારા વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે જો તું જીવનના માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.'
18તે વ્યક્તિ ઈસુને કહે છે કે, 'કઈ કઈ?' ત્યારે ઇસુએ કહ્યું કે, 'તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર,
19પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.'
20તે જુવાને તેમને કહ્યું કે, 'એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?'
21ઈસુએ તે જુવાનને કહ્યું કે, 'જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.'
22પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમકે તેની મિલકત ઘણી હતી.
23ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.
24વળી હું તમને ફરી કહું છું કે 'દ્રવ્યવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.'
25ત્યારે તેમના શિષ્યો તે સાંભળીને ઘણા અચરત થયા અને કહેવા લાગ્યા કે, 'તો કોણ ઉધ્ધાર પામી શકે?'
26પણ ઈસુએ તેઓની તરફ જોઇને કહ્યું કે, 'માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.'
27ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, 'જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?'
28ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.'
29જે કોઇએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે તજી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.
30પણ ઘણા જેઓ પ્રથમ તેઓ છેલ્લા થશે; અને જેઓ છેલ્લા તેઓ પ્રથમ થશે.'