1હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયુસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ અબીલેનોનો રાજ્યકર્તા હતો
2આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાના દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.
3તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો.
4યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, 'અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;
5દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડાટેકરાવાળા માર્ગ સપાટ કરવામાં આવશે.
6સઘળા મનુષ્યો ઈશ્વરનું ઉધ્ધાર જોશે.'
7તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણા લોકોને યોહાને કહ્યું કે, 'ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા?
8તો પસ્તાવો [કરનારને] શોભે એવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારો પિતા છે,' કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.'
9વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે હરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે, અને અગ્નિમાં નંખાય છે.'
10લોકોએ યોહાનને પૂછ્યું, 'ત્યારે અમારે શું કરવું?'
11તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એકપણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.'
12કર ઉઘરાવનારાઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, 'ઉપદેશક, અમારે શું કરવું?'
13તેણે તેઓને કહ્યું કે, 'જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરજસ્તીથી ન લો.'
14સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, 'અમારે શું કરવું?' તેણે તેઓને કહ્યું કે, 'જબરજસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.'
15લોકો [ખ્રિસ્તની] રાહ જોતા હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, 'એ ખ્રિસ્ત હશે કે નહિ;'
16ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, 'હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે બળવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.
17તેમનું સૂપડું તેમના હાથમાં છે, તેનાથી તે પોતાની ખળીને સાફ કરી નાખશે, અને ઘઉં પોતાની વખારમાં તે ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.'
18તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
19યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો,
20એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
21સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં આકાશ ઊઘડી ગયું;
22અને પવિત્ર આત્મા કબૂતરના રૂપે તેમના પર ઊતર્યા; અને આકાશમાંથી એવી વાણી થઈ કે, 'તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.'
23ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને (લોકોના ધાર્યા પ્રમાણે) તે યૂસફના દીકરા હતા, જે એલીનો [દીકરો],
24મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો,
25જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો,
26જે માહથનો, જે મતિયાનો, જે શિમઇનો, જે યોસેખનો, જે યોદાનો,
27જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો,
28જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો,
29જે યેશુનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો,
30જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલ્યાકિમનો,
31જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે ડેવિડનો,
32જે યશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો,
33જે અમિનાદાબનો, જે અનીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,
34જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો,
35જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો,
36જે કેનાનનો, જે અર્યાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
37જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
38જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.