1અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો.
3તેઓ કબરની અંદર ગઈ, પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.
4એમ થયું કે, એ સંબંધી તેઓ ગુંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા.
5તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, 'મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?
6તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા,
7ત્યારે તેમણે તમને કહ્યું હતું કે, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.'
8તેમની [ઈસુની]વાતો તેઓને યાદ આવી.
9કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર [શિષ્યોને] તથા બીજા સર્વને એ બધી વાતો કહી.
10હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ માગ્દાલિની, યોહાન્ના, યાકૂબની [મા] મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.
11એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેનું માન્યું નહિ.
12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘેર ગયો.
13તે જ દિવસે તેઓમાં બે, એમ્મોસ નામનું એક ગામ યરૂશાલેમથી ચારેક ગાઉ દૂર છે, ત્યાં જતા હતા.
14આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એક બીજાની સાથે વાત કરતા હતા.
15એમ થયું કે તેઓ એક બીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતા હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા.
16પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખે શક્યા નહિ.
17ઈસુએ તેઓને કહ્યું કે,'તમે ચાલતાં ચાલતાં એક બીજાની સાથે શી વાત કરો છો?' તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા.
18કલિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, 'શું, યરૂશાલેમમાં રહેનારાઓમાંનો એકલા તમે જ આ દિવસોમાં બનેલા બિનાઓ નથી જાણતા ?
19તેણે તેઓને કહ્યું કે, 'કઈ બિનાઓ?' તેઓએ તેને કહ્યું કે, 'ઈસુ નાઝીરી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ;
20વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મરણદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યા.
21પણ અમે આશા રાખતા હતા કે, ઈઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો.
22વળી અમારામાંની કેટલીએક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું,
23એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, 'અમને દૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે.
24અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.'
25તેમણે તેઓને કહ્યું કે, 'ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ!
26શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?'
27મોઝિસ થી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.
28જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું.
29તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, 'અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.' અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા.
30એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી.
31ત્યારે તેઓની આંખો ઉઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્દ્રશ્ય થઈ ગયા.
32તેઓએ એક બીજાને કહ્યું કે, 'જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જવંલત નહોતાં થતાં શું?'
33તે જ ઘડીએ તેઓ ઊઠીને યરૂશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર [શિષ્યો]ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલા જોયા,
34કે, જેઓ કહેતા હતા કે, 'પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.'
35ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તે તેઓથી કેવી રીતે ઓળખાયા હતા તે કહી બતાવ્યું.
36તેઓ એ વાતો કહતા હતા, ત્યારે [ઈસુ] પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, 'તમને શાંતિ થાઓ.'
37પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.
38તેમણે તેઓને કહ્યું કે, 'તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં તર્કવિતર્ક કેમ થાય છે?
39મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતાં નથી.'
40એ કહ્યા પછી તેમણે તેઓને હાથ તથા પગ બતાવ્યા.
41તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને આશ્ચર્ય પામતા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી પાસે કંઈ ખાવાનું છે?'
42તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,
43ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.
44ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મોઝિસના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.'
45ત્યારે ધર્મલેખો સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં.
46ઈસુએ તેઓને કહ્યું કે, 'એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ;
47યરૂશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.
48એ વાતના સાક્ષીઓ તમે છો.
49હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ઠિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.'
50બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો.
51એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને આકાશમાં લઈ લેવાયા.
52તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમમાં પાછા વળ્યા.
53અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.