Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Colossians 2 >> 

1હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,

2તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે.

3તેમનામાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.

4કોઇ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.

5કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઇને હું આનંદ પામું છું.

6તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનામાં ચાલો,

7તેમનામાં રોપાયેલા, સ્થપાયેલા અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે અભારસ્તુતિ કરો.

8સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફી જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઇ તમને ફસાવે નહીં.

9કેમકે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.

10તમે તેમનામાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસનનું તથા અધિકારનું શિર છે;

11જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનામાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.

12તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યા.

13તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની ક્ષમા કરીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.

14અને નિયમોનું તહોમતનામું [લખાણ] જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.

15રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.

16તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.

17તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.

18નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ રાખવા કોઇ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.

19તે શિરને વળગી રહેતો નથી, એ (શિર) થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.

20જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?

21'[જેમ કે અમુકને] સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.'

22એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે (વપરાશથી જ નાશ પામનારી છે).

23તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે જ્ઞાનનો આભાસ છે, અને શારીરીક વાસનાઓને અટકાવવાને તેઓ કોઇ રીતે ઉપયોગી નથી.


  Share Facebook  |  Share Twitter

 <<  Colossians 2 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran