Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hebrews 9 >> 

1હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.

2કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.

3અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.

4તેમાં સોનાનું ધૂપપાત્ર તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,

5અને તે પર મહિમા દર્શક કરુબિમ હતા, તેઓનો પડછાયો દયાસન પર પડતો હતો; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.

6હવે ઉપર દર્શાવ્યા મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે;

7પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે રક્ત બહાર જઈ શકતો ન હતો તે રક્ત તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો;

8તેથી પવિત્રઆત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.

9વર્તમાનકાળને સારુ તે [મંડપ] ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનુ અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.

10તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવવાના હતા.

11ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,

12બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે સનાતન ઉધ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.

13કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,

14તો ખ્રિસ્ત, જે સનાતન આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં હૃદયને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલુ વિશેષ શુદ્ધ કરશે?

15માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે [મરણ આપે] અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે.

16કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.

17કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર વિદ્યમાન હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?

18એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.

19કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફાસહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,

20'જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.

21તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાનાં સઘળાં પાત્રો પર પણ રક્ત છાંટ્યું હતું.

22નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

23આકાશમાંની વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી.

24કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાનો કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ આકાશમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.

25જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થામાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી.

26કેમ કે જો એમ હોત, તો જગતના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા.

27જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યારબાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.

28તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉધ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Hebrews 9 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran