1ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.
2પરોણાગત કરવાનું તમે ભુલોશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં દૂતોને પરોણા રાખ્યા છે.
3બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હવે એવું સમજીને તેઓનું સ્મરણ કરો: અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.
4લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
5દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમા સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, 'હું તને મુકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.'
6તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, 'પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
7જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઇને તેઓના વિશ્વાસને અનુસરો.
8ઈસુ ખ્રિસ્ત ગઇ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.
9તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી.
10આપણને એવી વેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી.
11કેમ કે પાપની માફીને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.
12એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.
13તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ.
14કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.
15માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.
16ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમકે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.
17તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.
18તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.
19તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.
20હવે શાંતિના ઈશ્વર, જેણે સર્વકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં,
21તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઈચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્તદ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.
22ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે.
23તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.
24તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.
25તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.