Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Judges 2 >> 

1ઈશ્વરના દૂતે ગિલ્ગાલથી બોખીમ જઈને કહ્યું, "હું તમને મિસરમાંથી છોડાવીને જે દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી હતી તેમાં લાવ્યો છું. મેં કહ્યું હતું કે, 'હું કદીપણ તમારી સાથેનો મારો કરાર રદ કરીશ નહિ.

2તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ પણ સંધિ કરશો નહિ. તેઓની વેદીઓ અવશ્ય તોડી નાખીને તમે મારી વાણી ધ્યાને લીધી નથી. આ તમે શું કર્યું છે?

3હવે હું કહું છું, 'હું કનાનીઓને તમારી સામેથી દૂર કરીશ, પણ તેઓ તમારી આજુબાજુ કાંટારૂપ અને તેઓના દેવો તમને ફાંદારૂપ થશે.'"

4અને ઈશ્વરના દૂતે ઇઝરાયલના સર્વ લોકોને એ વાતો કહી, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા.

5અને તેઓએ તે જગ્યાનું નામ બોખીમ પાડ્યું. ત્યાં તેઓએ ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.

6યહોશુઆએ લોકોને વિદાય કર્યા ત્યારે ઇઝરાયલના સર્વ લોકો પોતાને માટે નિયુક્ત કરાયેલ સ્થળે, પોતપોતાના વારસામાં ગયા.

7યહોશુઆના જીવનકાળ દરમિયાન અને ત્યારબાદ જે વડીલો તેના કરતાં લાંબુ જીવ્યા હતા, જેઓએ ઇઝરાયલને માટે ઈશ્વરે કરેલાં સર્વ મોટાં કામ જોયા હતાં, તેઓના અસ્તિત્વ સુધી લોકોએ ઈશ્વરની સેવા કરી.

8નૂનનો દીકરો યહોશુઆ, ઈશ્વરનો સેવક, એકસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

9ગાશ પર્વતની ઉત્તરે, એફ્રાઈમના પહાડી પ્રદેશ, તિમ્નાથ-હેરેસમાં, જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો.

10તેઓની પેઢી પણ તેમના પિતૃઓ સાથે ભળી ગઈ. પછીની બીજી પેઢી ઊભી થઈ તે ઈશ્વરને અથવા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કૃત્યો હજી સુધી જાણતી નહોતી.

11ઇઝરાયલી લોકોએ યહોવાની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું અને તેઓએ બઆલીમની પૂજા કરી.

12અને તેઓના પિતૃઓના જે યહોવા તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા, તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેઓની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા જઈને તેઓ આગળ નમ્યા. તેઓએ યહોવાને ક્રોધિત થવાને ઉશ્કેર્યા.

13તેમણે તેમની સાથેનો સંબંધ તોડી નાખીને બઆલ તથા આશ્તારોથની પૂજા કરી.

14ત્યારે યહોવાનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો અને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યાં, તેઓએ પાયમાલ કરીને તેઓની સંપતિ લૂંટી લીધી. ઈશ્વરે તેઓ આસપાસના દુશ્મનો અધિકારમાં બંધાઈ રહે તેવી રીતે તેમને, વેચી દીધા, તેથી તેઓ તેમના દુશ્મનો સમક્ષ પોતાને ટકાવી શક્યા નહિ.

15ઇઝરાયલીઓ જ્યાં કંઈ લડાઈ માટે ગયા, ત્યાં તેઓને હરાવવા માટે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો અને તેઓ ભયંકર સંકટમાં આવી પડ્યાં હતા.

16ત્યારે યહોવાએ ન્યાયાધીશો નીમ્યા, તેઓએ તેઓને તેમને લૂંટી જનારાઓના હાથમાંથી બચાવ્યા.

17તોપણ તેઓ ન્યાયાધીશોનું સાંભળતાં નહોતા, તેઓ યહોવાને અવિશ્વાસુ હતા. પોતાને અન્ય દેવોની સાથે વ્યભિચાર કરી તેઓની પૂજા કરતા હતા. તેઓના પિતૃઓ યહોવાની આજ્ઞાઓનું પાલન કરનારા તેઓના પિતૃઓની જેમ તેઓ વર્ત્યા નહિ. તેઓ જલ્દીથી ખરા માર્ગથી ભટકી ગયા.

18જયારે યહોવાએ તેઓને માટે ન્યાયાધીશો નીમ્યા હતા, ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતાં સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા. કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી.

19પણ જ્યારે ન્યાયાધીશ મરણ પામતો ત્યારે તેઓ પાછા ફરી તેમના પિતૃઓએ કરેલાં કૃત્યો કરતાં વધુ ખરાબ કૃત્યો કરતા હતા. તેઓ અન્ય દેવોની ભક્તિ તથા પૂજા કરવાને તેઓની પાછળ જતા હતા. અને પોતાના દુરાચારો તથા અવળા માર્ગોથી પાછા વળતા ન હતા.

20તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો; તેમણે કહ્યું, “આ પ્રજાના પિતૃઓની સાથે જે કરાર મેં કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. અને મારી વાણી સાંભળી નથી,

21માટે યહોશુઆએ મરણના સમયે જે લોકોને રહેવા દીધા હતા, તેઓમાંના કોઈને પણ, હું હવે પછી, તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ.

22જેમ તેઓના પિતૃઓ ઈશ્વરના માર્ગમાં ચાલ્યા હતા, તેમ ઇઝરાયલ ચાલશે કે કેમ તેની તેઓ વડે હું પરીક્ષા કરું.”

23તે માટે ઈશ્વરે તે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતાં રહેવા દીધી અને ઈશ્વરે યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Judges 2 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran