1એફેસેસમાં જે સંતો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થયેલો પાઉલ [લખે છે]:
2ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
3આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય [સ્થાનોમાં] દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે;
4એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનામાં [ઈસુ ખ્રિસ્તમાં] પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.
5તેમણે [ઈશ્વર પિતાએ] પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્તદ્વારા તેમના [ઈશ્વરના] પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા
6કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે [પોતાના] વહાલા [પુત્ર ઈસુદ્વારા] આપણને મફત આપી છે.
7તેમનામાં [ઈસુ ખ્રિસ્તમાં] લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.
8સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.
9તેમણે તેમનામાં [ઈસુ ખ્રિસ્તમાં] પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્ન્તા પ્રમાણે, પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો,
10કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, [હા ખ્રિસ્તમાં];
11જેમનામાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા;
12જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.
13તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉધ્ધારની સુવાર્તા સાંભળીને, અને તેમના [ઈસુ ખ્રિસ્ત] પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા;
14એ [આત્મા ઈશ્વરના] પોતાના દ્રવ્ય [રૂપી લોકના] ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.
15એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા તમામ સંતો પ્રત્યે તમારા પ્રેમ વિષે સાંભળીને,
16તમારે સારુ આભાર માનવાનું ચૂકતો નથી; મારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીને માગુ છું કે,
17આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના જ્ઞાનને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;
18અને તમારાં અંતરનયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે,
19અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો.
20તેમણે [ઈશ્વરે] તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને તેમને [ઈસુને] મૂએલાંમાંથી સજીવન કર્યા,
21અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય,એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.
22અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા;
23વિશ્વાસી સમુદાય તો તેમનું [ખ્રિસ્તનુ] શરીર છે,ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.