1સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,
2અનંતજીવનનું જે વચન, કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે અનાદિકાળથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા માટે તથા ભક્તિભાવ મુજબના જ્ઞાનના પ્રચારને અર્થે, હું પ્રેરિત થયો છું;
3નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા તારનાર ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું;
4ઈશ્વર પિતા તરફથી તથા આપણા ઉધ્ધારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.
5જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર અધ્યક્ષો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.
6જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમના ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
7કેમ કે અધ્યક્ષે ઈશ્વરના વહીવટદાર તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વચ્છંદી, ક્રોધી, દારૂડિયો, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
8પણ તે આગતાસ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી
9અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવો જોઈએ; એ માટે કે તે શુદ્ધ સિદ્ધાંત પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
10કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણા છે. તેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે,
11તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ ખાટવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબોને ગેરમાર્ગે દોરે છે.
12તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, 'ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.'
13આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ
14કે, તેઓ યહૂદીઓની દંતકથાઓ પર તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
15શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
16અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને સર્વ સારાં કામ કરવા માટે અયોગ્ય છે.