Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Matthew 5 >> 

1ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચડ્યા; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.

2તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે,

3"આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

4જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.

5જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.

6જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.

7દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.

8મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.

9સલેહ કરાવનારાઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.

10ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઇ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

11જયારે લોક તમારી નિંદા કરશે, પાછળ પડશે અને મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો.

12તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ; કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.

13તમે જગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.

14તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.

15દીવો કરીને તેને માપવાના વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાંને તે અજવાળું આપે છે.

16તેમ જ તમે તમારું અજવાળું લોકની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદ્દકૃત્યો જોઇને સ્વર્ગમાંના તમારા પિતાની સ્તુતિ કરે.

17નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.

18કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.

19એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઇ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે; પણ જો કોઇ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.

20કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.

21હત્યા ન કર. જે કોઇ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પહેલાંના સમયમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું છે;

22પણ હવે હું તમને કહું છું કે, 'જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને બેવકૂફ કહેશે, તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે તું મૂર્ખ છે, તે નરકાગ્નિના જોખમમાં આવશે;

23એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે,

24તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.

25જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, અને તને જેલમાં પૂરવામાં આવે.

26હું તમને નિશ્ચે કહું છું કે તમે પૂરેપૂરો દંડ ચૂકવી શકશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી બહાર નીકળનાર જ નથી.

27વ્યભિચાર ન કરો, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે;

28પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.

29જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.

30જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે.

31જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે, એમ પણ કહેલું હતું

32પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે, તેઓ તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે તજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.

33વળી, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.

34પણ હું તમને કહું છું કે, કોઈપણ પ્રકારના સમ ન ખાઓ; આકાશના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે;

35પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.

36તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એકપણ વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી.

37પણ તમારું બોલવું તે હા નું હા અને ના નું ના હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.

38આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.

39પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ: પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.

40જે તારો કોટ લેવા સારુ તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે.

41જે કોઇ તને બળજબરીથી એક કિલોમીટર લઇ જાય, તો તેની સાથે બે કિલોમીટર જા.

42જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.

43તું તારા પડોશી પર પ્રીતિ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે:

44પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો, જેઓ તમને સતાવે છે તેઓને સારુ પ્રાર્થના કરો;

45એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તેઓ સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.

46કેમ કે જેઓ તમારા પર પ્રીતિ કરે છે, તેઓ પર જો તમે પ્રીતિ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?

47જો તમે કેવળ તમારા ભાઇઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દાણીઓ પણ શું એમ નથી કરતાં?

48એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થશો.



 <<  Matthew 5 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran