Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hebrews 8 >> 

1હવે જે વાતો અમે કહીએ છીએ, તેનો સારાંશ એ છે, કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.

2પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ, પણ પ્રભુએ બાંધેલો છે, તેના તે સેવક છે.

3દરેક પ્રમુખ યાજક અર્પણો તથા બલિદાન આપવા માટે નિમાયેલા છે; માટે તેમની પાસે પણ અર્પણ કરવાનું કંઈ હોય એ જરૂરી છે.

4વળી જો તે પૃથ્વી પર હોત, તો તે યાજક હોત જ નહિ; કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનારા યાજકો તો અહીં છે જ;

5જેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, કેમ કે જેમ મૂસા જયારે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે તેને ઈશ્વરે કહ્યું કે, 'જે નમૂનો તને પહાડ પર બતાવ્યો હતો, તે પ્રમાણે તમામ બાબતોની રચના કાળજીપૂર્વક કર.'

6પણ હવે જેમ ખ્રિસ્ત વધારે સારાં વચનોથી ઠરાવેલા અને વધારે સારા કરારના મધ્યસ્થ છે, તેમ તેમને વધારે સારી સેવા કરવાની મળી.

7કેમ કે જો તે પહેલા કરારમા દોષ ન હોત, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ.

8પણ દોષ કાઢતાં ઈશ્વર તેઓને કહે છે કે, 'જુઓ, પ્રભુ એમ કહે છે કે, એવા દિવસો આવે છે, કે જેમાં હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદીયા લોકોની સાથે નવો કરાર કરીશ.

9તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવવા માટે જે દિવસે મેં તેઓનો હાથ પકડ્યો, ત્યારે તેઓની સાથે જે કરાર મેં કર્યો હતો, તે પ્રમાણેનો કરાર તે નહિ હોય કારણ કે તેઓ મારા કરાર મુજબ ચાલ્યા નહિ એટલે મેં તેઓ સંબંધી કશી પરવા કરી નહિ, એવું પ્રભુ કહે છે.'

10કેમ કે પ્રભુ કહે છે કે, 'તે દિવસો પછી, ઇઝરાયલના સંતાનોની સાથે જે કરાર હું કરીશ, તે આ છે; હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ અને તે તેઓના હૃદયપટ પર તે લખીશ: હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.

11હવે પછી 'પ્રભુને ઓળખ' એમ કહીને દરેક પોતાના પાડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહી, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને [પ્રભુને] ઓળખશે.

12કેમ કે તેઓના અન્યાય પત્યે હું દયાળુ થઈશ અને તેઓનાં પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહિ.'

13તો, 'નવો કરાર' એવું કહીને તેમણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જર્જરીત થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે.



 <<  Hebrews 8 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran