1એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;
2અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.
3વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે;
4જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ [કરવી].
5કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તના તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.
6તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.
7એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ.
8કેમ કે તમે પહેલાં અંધકાર હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો.
9(કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.)
10પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.
11અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.
12કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.
13જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમકે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે.
14માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.
15તો સંભાળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;
16સમયનો સદુપયોગ કરો, કેમકે દિવસો ખરાબ છે.
17તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો.
18દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ;
19ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયોમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;
20આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.
21ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.
22પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;
23કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરના રક્ષક છે.
24જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને [આધીન] રહેવું.
25પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાપર્ણ કર્યુ તેમ;
26એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને] પવિત્ર કરે,
27અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.
28એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;
29કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્રેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ પ્રભુ પણ વિશ્વાસી સમુદાયનું [પોષણ કરે છે] તેમ,
30કેમ કે આપણે તેમના [ખ્રિસ્તના] શરીરનાં અંગો છીએ.
31એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.
32આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.
33તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.